દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે દિલ્હી ભાજપે એક ચાર્જશીટ જારી કરી છે. આ ચાર્જશીટમાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે અને સવાલો ઉભા કર્યા છે
ભાજપના નેતા રામવીર સિંહ બિધુરીનું કહેવું છે કે સીએમ કેજરીવાલ બંધારણને નથી માનતા. તેમણે કહ્યું કે, વર્ષ 2015 થી 2022 સુધી જલ બોર્ડના હિસાબોનું ઓડિટ નથી થયું. CAGએ 22 પત્ર લખ્યા, હાઈકોર્ટે આદેશ આપ્યા કે ઓડિટ થાય. દિલ્હી જલ બોર્ડમાં 60 હજાર કરોડનું કૌભાંડ થયું છે. ત્યાર બાદ ચાર વર્ષ સુધી તેનો રિપોર્ટ વિધાનસભામાં નથી રાખ્યો, અને પછી એલજીની સૂચના પર વિધાનસભામાં ઓડિટ રિપોર્ટ રાખવામાં આવ્યો.
8 વર્ષમાં એકપણ હોસ્પિટલ નથી બની: બિધુરી
રામવીર સિંહ બિધુરીએ વધુમાં કહ્યું કે કેજરીવાલ કહે છે કે તેઓ દિલ્હીમાં 24 કલાક મફત વીજળી આપી રહ્યા છે. ઘરેલું વીજળી 8 રૂપિયા અને કોમર્શિયલ વીજળી 18 રૂપિયા છે. દિલ્હીમાં 40% વસ્તીને શુદ્ધ પાણી નથી મળી રહ્યું અને ટેન્કર માફિયા વધી ગયા છે. પાણી પીને લોકો બીમાર પડી રહ્યા છે. 8 વર્ષમાં એક નવી હોસ્પિટલ બનાવી શક્યા નથી. 341 મોહલ્લા ક્લિનિક ખોલ્યા જેમાં સુવિધાઓ નથી. કોરોનામાં કોઈ સુવિધા ન મળી અને ન તો ટેસ્ટ થયા.
જાહેર પરિવહન બરબાદ કર્યું: બિધુરી
બિધુરીએ વધુમાં કહ્યું કે, કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કહ્યું હતું કે તેઓ આયુષ્માન યોજના લાગુ કરશે પરંતુ વચન આપ્યા પછી પણ દિલ્હીમાં આ યોજના લાગુ કરી નથી. 500 નવી શાળાઓ ખોલવાની વાત થઈ હતી પરંતુ 50 શાળાઓ બંધ થઈ. ઘણી શાળાઓમાં આચાર્ય નથી. 20 નવી કોલેજો ખોલવાની હતી, પરંતુ એક પણ શરૂ થઈ નથી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે તેમને સાર્વજનિક પરિવહન બરબાદ કર્યું, ડીટીસીની 8000 બસો ખરીદવાની વાત કરી હતી જે ખરીદી શક્યા નથી. ત્યારે જ છેલ્લા વર્ષોમાં બસોની સંખ્યા ઘટી ગઈ છે.
દિલ્હીને ડ્રગ કેપિટલ બનાવ્યું: બિધુરી
બિધુરીએ કહ્યું કે WHO એ માન્યું છે કે 8 વર્ષમાં દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. યમુના વિશે વાત કરતા એમ પણ કહ્યું કે તે એક ગંદા નાળામાં ફેરવાઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે યમુના સ્વચ્છ થશે પરંતુ યમુના ગંદા નાળામાં ફેરવાઈ ગઈ છે. સાથે જ નોકરીઓ પર કહ્યું હતું કે, વચન મુજબ 28 લાખ લોકોને નોકરી આપવાની વાત થઈ હતી પરંતુ માત્ર 400 લોકોને જ નોકરી આપવામાં આવી છે. આ સિવાય દિલ્હીને ડ્રગ્સ કેપિટલ બનાવી દીધું, દરેક ગલીમાં દારૂના ઠેકા ખોલવામાં આવ્યા અને તેમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું. ગામમાં કોઈ વિકાસ થયો નથી, પાણી નથી, રોડ નથી, જે નથી કોલેજ બની.
પ્રચારમાં ખર્ચ્યો ખજાનો: બિધુરી
બિધુરીએ વધુમાં કહ્યું કે તેમણે પ્રચાર પર ખજાનો લૂંટાવ્યો છે. કેજરીવાલ સીએમ બન્યા ત્યારથી પ્રચાર માટે 11 કરોડ રૂપિયા હતા, પરંતુ છેલ્લા વર્ષોમાં 2 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા. પરાળમાંથી કોઈ ખાતર ન બન્યું પણ તેનો પ્રચાર જોરદાર કરવામાં આવ્યો. બાળકોને લોન નથી આપી પરંતુ પ્રચાર કર્યો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેઓ સરકારી મકાન નહીં લે, પરંતુ ઘર લીધું અને તેમાં 23 કરોડ રૂપિયા ખર્ચીને પોતાનું સરકારી મકાન નવું અને મોટું બનાવ્યું, તેમાં સ્વિમિંગ પૂલ બનાવ્યો.