સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીથી કેરળના કાલિકટ એરપોર્ટ પર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી, ત્યારબાદ વિમાન અબુ ધાબી પરત ફર્યું અને સુરક્ષિત લેન્ડિંગ કર્યું.
મળતી માહિતી અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX348 અબુ ધાબી એરપોર્ટથી કેરળના કાલિકટ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. ફ્લાઈટના એન્જીન-1માં આગ લાગી ગયા બાદ એરક્રાફ્ટ અબુ ધાબી એરપોર્ટ પર પરત ફર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક ઓફ કરતા પહેલા પાયલોટે આ ખામીને ધ્યાનમાં લીધી ન હતી. આ વિમાનમાં 184 મુસાફરો છે. બધાએ સુરક્ષિત ઉતરાણ કર્યું છે.
DGCA એ જારી કર્યું નિવેદન
એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ પર DGCA દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AYC ઓપરેટિંગ ફ્લાઈટ IX 348 (અબુ ધાબી-કાલિકટ) ફ્લાઈટ દરમિયાન 1000 ફીટ પર પહોંચ્યું ત્યારે એન્જિન-1માં આગ લાગી, જેના કારણે ફ્લાઈટ પાછી ફરી ગઈ.”
30 જાન્યુઆરીએ પણ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી
આ પહેલા 30 જાન્યુઆરીએ રવિવારે રાત્રે શારજાહથી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી. આ અંગે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ અને તમામ મુસાફરોની સાથે ક્રૂ મેમ્બરને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય જાહેર કરવામાં આવી હતી.
18 જાન્યુઆરીએ વિસ્તારાની ફ્લાઇટમાં આવી હતી સમસ્યા
બીજી તરફ 18 જાન્યુઆરીએ સિંગાપોરથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનને સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે પ્લેન સવારે 11 વાગે ટેકઓફ થયું હતું, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે પાઇલોટ્સે પ્લેનને સિંગાપોર પરત ખેંચી લીધું હતું.