G-20 કોન્ફરન્સમાં ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની વર્તમાન સ્થિતિનો મુદ્દો ગરમ રહ્યો હતો. ભારતે માત્ર ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ સાથે સરહદની સ્થિતિ અને તેના કારણો વિશે વાત કરી એટલું જ નહીં, સખત વાંધો પણ ઉઠાવ્યો
વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગ સાથે મુલાકાત કરી, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ચર્ચા G-20 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે બપોરે G-20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને મળ્યા. અમારી વાતચીત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ માટેના વર્તમાન પડકારો પર કેન્દ્રિત હતી.” ડિસેમ્બરમાં ચીનના વિદેશ મંત્રી બન્યા બાદ ચિન ગેંગની જયશંકર સાથે આ પ્રથમ મુલાકાત છે.
જયશંકર લગભગ આઠ મહિના પહેલા બાલીમાં જી-20 બેઠક દરમિયાન તત્કાલીન ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા હતા. તેમણે પૂર્વી લદ્દાખના તમામ પડતર મુદ્દાઓના વહેલા ઉકેલની જરૂરિયાત વિશે 7 જુલાઈએ એક કલાકની બેઠક દરમિયાન વાંગને જણાવ્યું હતું. વાંગ ગયા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત અને ચીને 22 ફેબ્રુઆરીએ બીજિંગમાં સીધી રાજદ્વારી વાટાઘાટો કરી હતી અને પૂર્વી લદ્દાખમાં એલએસી સાથેના બાકીના ઘર્ષણ બિંદુઓથી સૈનિકોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર “ખુલ્લી અને સકારાત્મક ચર્ચાઓ” કરી હતી.