કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને સંસદમાં હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. આજે રાહુલ ગાંધી પહેલીવાર સંસદના વર્તમાન સત્રમાં હાજરી આપી રહ્યા છે. આ સાથે જ ભાજપ રાહુલના રાજીનામાની માંગ કરી રહી છે
‘જો કોઈ દેશને ગાળો આપશે તો અમે ચૂપ બેસીશું નહીં’
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “સંસદમાં જે ચાલી રહ્યું છે તેનાથી સમગ્ર દેશ ચિંતિત છે. દેશને બદનામ કરવાનો અને ગાળો આપવાનો કોઈ અધિકાર નથી. રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ પાર્ટી ડૂબી રહી છે એમાં અમને રસ નથી, પરંતુ દેશને ડૂબાડવાની વાત કરીએ તો અમે ચૂપ રહી શકીએ નહીં. દેશની જનતાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને નકારી દીધી તો આ માટે વિદેશની ધરતી પર જઈને દેશને ગાળો આપી તો ચૂપ બેસીશું નહીં.”
‘રાહુલ ગાંધીએ સંસદમાં આવીને માફી માંગવી પડશે’
તેમણે વધુમાં કહ્યું કે, લંડન જઈને એમ કહેવું કે તેમને સંસદમાં બોલવા દેવાતા નથી તે જુઠ્ઠાણું છે. દેશમાં જે સૌથી વધુ બોલે છે તે કહે છે કે બોલવાની સ્વતંત્રતા નથી, આ તમાશો છે. મોટા ભાગના લોકો દિવસ-રાત સરકારને ગાળો આપતા રહે છે, તેમ છતાં તેઓ કહે છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી. સંસદસભ્ય જ સંસદની ગરિમાને નીચે લાવી રહ્યા છે. ભારત વિરોધી શક્તિઓની ભાષા એક છે, જે રાહુલ ગાંધી બોલે છે, તે લોકો પણ તે જ ભાષા બોલે છે. વડાપ્રધાનને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આ માટે રાહુલ ગાંધીએ સંસદમાં આવીને માફી માંગવી પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો
રાહુલ ગાંધીના મુદ્દે ભાજપ આક્રમક છે તો કોંગ્રેસ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે ફરી સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધીએ માફી માંગવાનો પ્રશ્ન જ નથી. ખડગેએ કહ્યું કે રાહુલ નહીં પણ પીએમ મોદી વિદેશમાં ભારતને બદનામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર સંસદમાં હોબાળો મચાવી રહી છે.