વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે. સીએમ યોગીએ પૂછ્યું, ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તો નથી મૂક્યું. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, આ મામલે મુસ્લિમ પક્ષે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.
સીએમ યોગીને જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું, “જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે. ભગવાને જેને દ્રષ્ટિ આપી છે, તે જોવે ને. ત્રિશુલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે? અમે તેને નથી મૂક્યું. ત્યાં જ્યોતિર્લિંગ છે, દેવતાઓની મૂર્તિઓ છે. દીવાલો બૂમો પાડીને શું કહી રહી છે?” તેમણે કહ્યું, “મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ કે સાહેબ, ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે એ ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.”
દેશ બંધારણથી ચાલશે – સીએમ યોગી
અન્ય એક પ્રશ્નના જવાબમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે. જુઓ, હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથી. તમારો પોતાનો મત અને ધર્મ હશે. તમારા ઘરમાં હશે. તમારી મસ્જિદ, પૂજા સ્થળ પણ હશે. રસ્તા પર પ્રદર્શન કરવા માટે નહીં અને તમને કોઈ બીજા પર દબાણ કરી શકો નહીં. જો કોઈને દેશમાં રહેવું છે તો તેણે રાષ્ટ્રને સર્વોપરી માનવું જોઈએ, પોતાના મત અને ધર્મને નહીં.
6 વર્ષથી યુપીમાં કોઈ રમખાણ થયા નથી – યોગી આદિત્યનાથ
સીએમ યોગીએ કહ્યું, હું 6 વર્ષથી વધુ સમયથી યુપીનો સીએમ છું. છેલ્લા 6 વર્ષમાં કોઈ મોટું તોફાન થયું નથી. મોટી મોટી વાતો કરનારા આ લોકો જુઓ તો કેવી ચૂંટણી થાય છે. યુપીની ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી જુઓ, શું હાલત થઈ. તેઓ દેશને પશ્ચિમ બંગાળ બનાવવા માંગે છે. જે રીતે ટીએમસી સરકારે ત્યાં કર્યું. કેટલાક લોકો સત્તામાં આવ્યા બાદ આખી વ્યવસ્થાને બળજબરીથી કેદ કરી દેવા માગે છે. આવું પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું. વિરોધ પક્ષોના કાર્યકરો માર્યા ગયા. આ વસ્તુઓ આંખ ખોલનારી છે. આ લોકો આના પર બોલતા નથી. 1990માં કાશ્મીરમાં જે કંઈ પણ થયું, આ બધા લોકો ચૂપ રહ્યા.