પોસ્ટ વિભાગે સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ સ્કીમ, એનએસસી, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને અન્ય નાની બચત યોજનાઓ અંગે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
પોસ્ટલ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણી પોસ્ટ ઓફિસો સમયસર ડેથ ક્લેમ સમયસર નિકાલ નથી કરી રહી. ઉપરાંત, તેઓ ડેથ ક્લેમ માટે જરૂરી નિયમોનું પાલન કરતા નથી. આવી સ્થિતિમાં, પોસ્ટલ વિભાગે ડેથ ક્લેમને તાત્કાલિક ઉકેલવા માટે નિર્દેશ આપ્યો છે અને જણાવ્યું છે કે આવા કોઈપણ કેસનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે.
ડેથ ક્લેમ માટે અપનાવવા પડશે આ નિર્દેશ
વિભાગે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસે નિર્ધારિત સમય મર્યાદામાં ડેથ ક્લેમના કેસોનું સમાધાન સુનિશ્ચિત કરવું પડશે. 9 જાન્યુઆરી, 2023ના રોજ પોસ્ટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ડેથ ક્લેમના કેસોના સમયસર નિરાકરણ માટે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
- ડેથ ક્લેમ દરમિયાન KYC દસ્તાવેજો હોવા જોઈએ અને પોસ્ટ ઓફિસમાં તેની ચકાસણી કરાવવી જરૂરી છે.
- કેવાયસી દસ્તાવેજોની નકલ પર સાક્ષીઓની સહીઓ પણ જરૂરી છે. જો સહી ન હોય તો સાક્ષીએ પોસ્ટ ઓફિસમાં જવું પડશે.
- દાવેદારની સહી, બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજો આપવા પણ જરૂરી છે.
- ડેથ ક્લેમની પતાવટ કરવા માટે માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો આપવા ફરજિયાત છે, નહીંતર રૂપિયા અટકી શકે છે.
- નોમિનીના કિસ્સામાં ડેથ ક્લેમ માત્ર એક દિવસમાં અને અન્ય કિસ્સામાં સાત દિવસની અંદર કરી શકાય છે.
આપવા પડશે કાનૂની દસ્તાવેજ
જો કોઈપણ યોજના હેઠળ જારી કરાયેલી રકમ પાંચ લાખ રૂપિયાથી વધુ હોય અને તે એકાઉન્ટમાં કોઈ નોમિની અથવા નોમિનેશન ન હોય તો કોર્ટ દ્વારા જારી કરાયેલા કાયદાકીય દસ્તાવેજો આપવા જરૂરી છે. જો કે, જો રકમ પાંચ લાખ રૂપિયા છે, તો ડેથ ક્લેમ માટે કોઈ કાનૂની દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર નથી.