રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગણતરી વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાં થાય છે. યૂક્રેન પર હુમલો કર્યા બાદથી જ તેઓ વિશ્વના નેતાઓના નિશાના પર આવી ગયા છે. તેઓ વિદેશી નેતાઓની સાથે સાથે હવે તેમના જ દેશના નેતાઓના નિશાના પર આવી ગયા છે
પુતિનને છે તેમની હત્યા કરાવવાની સંભાવના
પોતાની હત્યાની સંભાવનાથી ડરેલા પુતિને તેમની દિનચર્યા સહિત ઘણા કામોમાં બદલાવ કરી દીધો છે. પુતિન હવે મુસાફરી કરવા માટે એક ખાસ પ્રકારની ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. પુતિન સાથે જાસૂસીની તાલીમ લેનાર એક પૂર્વ કેજીબી સહયોગીએ દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિને તેમના પ્લેનને તોડી પાડવાના ડરથી હવે તેઓ ફક્ત બખ્તરબંધ ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યા છે. પુતિનની આ ટ્રેન ઘણી ખાસ છે. જો કે આ ટ્રેન અનેક સુવિધાઓથી સજ્જ છે, પરંતુ તેને સામાન્ય ટ્રેન જેવી દેખાડવા માટે તેને ગ્રે અને લાલ રંગમાં રંગવામાં આવી છે.
પુતિનના મિત્રએ દાવો કર્યો
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે KGB સંસ્થામાં અભ્યાસ કરનાર યુરી શ્વેટ્સે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ તેમના આંતરિક વર્તુળમાં સત્તાના સંઘર્ષો વિશે વધુ પડતા ચિંતિત છે. યૂક્રેન યુદ્ધ પછી પુતિન મોટાભાગે ‘સેલ્ફ આઇસોલેશન’માં રહે છે. તેમની ‘રૂબરૂ’ બેઠકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે. શ્વેટ્સ કહે છે કે એવું લાગે છે કે તેમને તેમના જીવનના જોખમનો ડર સતાવી રહ્યો છે. તેમની ચારે બાજુ એક ‘સંઘર્ષ’ ચાલી રહ્યો છે અને પુતિન આ સંઘર્ષમાં પોતાની સર્વોપરિતા સરળતાથી ગુમાવી શકે છે, તેથી જ તેમણે પોતાને બધાથી અલગ કરીને આઇસોલેટ કરી દીધા છે.