કર્ણાટકમાં આ વર્ષે મે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપ દક્ષિણના રાજ્યમાં સત્તા મેળવવા માટે હાઈ-વોલ્ટેજ ચૂંટણી પ્રચાર ચલાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ટોચના કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ પર આ અભિયાનની જવાબદારી છે
1 માર્ચથી વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે ચામરાજ નગરના નર મહાદેશ્વર હિલ્સથી પ્રથમ “વિજય સંકલ્પ” યાત્રાનો પ્રારંભ કર્યો. જયારે ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ બેલગાવીના નંદાગઢથી બીજી યાત્રાને લીલી ઝંડી બતાવશે. ગૃહ મંત્રી અમિત શાહ શુક્રવારે બિદર જિલ્લાના બસવકલ્યાણ અને દેવનહલ્લીના અવથીથી ત્રીજી અને ચોથી યાત્રાની શરૂઆત કરશે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, રાજ્યભરમાં 8000 કિલોમીટરથી વધુનું અંતર આવરી લેતી ચાર યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
50થી વધુ રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ ભાગ લેશે
31 જિલ્લાઓ અને 224 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેતા જનસંપર્ક કાર્યક્રમમાં 50થી વધુ રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ ભાગ લેશે. અમિત શાહ અને જેપી નડ્ડા એ લોકસભા મતવિસ્તારોની પણ મુલાકાત લઈ રહ્યા છે જ્યાં ગત ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. 80 રેલીઓ, 74 જાહેર સભાઓ અને 150 રોડ શો પછી, યાત્રા 25 માર્ચે દાવણગેરેમાં પીએમ મોદીની જાહેર સભા સાથે સમાપ્ત થશે.
ભાજપ માટે કેમ મહત્ત્વનું છે કર્ણાટક
કર્ણાટકની ચૂંટણી આવતા મહિને જાહેર થવાની શક્યતા છે. કર્ણાટક ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ ભાજપ નેતૃત્વ પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપ માટે કર્ણાટક જીતવું મહત્ત્વપૂર્ણ છે. કર્ણાટક એકમાત્ર દક્ષિણનું રાજ્ય છે જ્યાં ભાજપ સત્તામાં આવ્યું છે, પરંતુ આ રાજ્યમાં ભાજપ ક્યારેય પૂર્ણ કાર્યકાળ સુધી શાસન કરી શક્યું નથી.
લિંગાયત મત કેળવવા પણ જરૂરી
દરમિયાન કર્ણાટકમાં ભાજપના સૌથી મોટા ચહેરા બીએસ યેદિયુરપ્પાએ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. પૂર્વ સીએમ યેદિયુરપ્પા રાજ્યમાં ભાજપના સૌથી મોટા લિંગાયત નેતા હતા. કર્ણાટકમાં લિંગાયતો રાજકીય રીતે શક્તિશાળી સમુદાય છે.
જોકે, કર્ણાટકમાં એક ‘ચહેરા’ની ગેરહાજરીને કારણે આખરે ભાજપ તેના સૌથી મોટા સ્ટાર વડાપ્રધાન મોદી તરફ પાછું ફર્યું છે. પાર્ટીને પણ એવી આશા છે કે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના નેતૃત્વમાં કોંગ્રેસની અંદરના જૂથો વચ્ચેની લડાઈથી ભાજપને ફાયદો થશે.