દિલ્હી વિધાનસભામાં આજે ભારે હોબાળો થયો. આજે વિધાનસભાના વિશેષ સત્રનો છેલ્લો દિવસ છે અને આજે વિધાનસભામાં મણિપુર હિંસાના પડઘા સંભળાયા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મણિપુર હિંસા અંગે મોદી સરકારને ઘેરી છે. તેમણે કહ્યું કે ભાજપ કહે છે કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી.
“આ પીએમનો સંદેશ છે, જે ધારાસભ્ય બોલી રહ્યા છે”
આ દરમિયાન દિલ્હી વિધાનસભામાં જોરદાર હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધુ. દિલ્હી એસેમ્બલીમાં કેજરીવાલે કહ્યું કે મણિપુરની અંદર જે ઘટના બની છે તે દુઃખદાયક છે, પરંતુ એનાથી પણ વધુ દર્દનાક એ છે જે બીજેપી ધારાસભ્યોએ એમ કહીને વિધાનસભામાંથી જતા રહ્યા કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. આ જોઈને મણિપુરના લોકો શું વિચારતા હશે? અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ માત્ર ધારાસભ્યો નથી કરી રહ્યા પરંતુ આ પીએમનો સંદેશ છે, જે ધારાસભ્યો બોલી રહ્યા છે. હજારો લોકો બેઘર બન્યા, સેંકડો માર્યા ગયા, પરંતુ વડાપ્રધાન મૌન રહ્યા. જ્યારે વિદેશોમાં હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે પણ પીએમ મૌન રહ્યા.
“જ્યારે પણ દેશમાં કંઇક થાય છે ત્યારે પીએમ ચૂપ થઈને બેસી જાય છે”
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મણિપુરમાં 6,500 એફઆઈઆર નોંધાઈ છે, 150 થી વધુ લોકોના મોત થયા છે પરંતુ પીએમ મૌન રહ્યા. તેમણે કહ્યું કે મણિપુરની મહિલાઓનું અપમાન થયું, પીએમ ચૂપ રહ્યા, મણિપુરના મુખ્યમંત્રી કહે છે કે આ રોજની વાત છે. પીએમ પિતા સમાન હોય છે. બીજેપીના તમામ લોકો કહેતા હતા કે પીએમ સૌથી વધુ નોર્થ ઈસ્ટમાં ગયા છે, પરંતુ ખુશીના સમયે તો બધા જાય છે, દુ:ખના સમયે પોતાના જ લોકો જાય છે. કેજરીવાલે કહ્યું કે આવું પહેલીવાર નથી બન્યું, જ્યારે પણ આ દેશમાં કંઇક થાય છે ત્યારે પીએમ ચૂપ થઈને પોતાના રૂમમાં બેસી જાય છે.
“ચીન આપણને આંખો બતાવી રહ્યું છે અને PM મૌન છે”
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, “આ પહેલા મહિલા કુસ્તીબાજોના મામલે પણ ચૂપ થઈને બેસી ગયા હતા. મણિપુરના મામલામાં પીએમએ એક શાંતિની અપીલ પણ ન કરી. છેલ્લા 9 વર્ષથી ચીન આપણને આંખો બતાવી રહ્યું છે અને પીએમ મૌન છે, એક શબ્દ પણ નથી બોલતા. ગલવાનમાં ચીને હુમલો કર્યો, પીએમ ચૂપ રહ્યા. આપણા 2000 SQM કબજે કર્યા, તેઓ ચૂપ રહ્યા. એવી ચર્ચા છે કે કંઈક સમજૂતી થઈ ગઈ છે, જમીન ગુપ્ત રીતે આપી દેવામાં આવી છે, વિદેશ મંત્રી કહે છે કે ચીન એક મોટી અર્થવ્યવસ્થા છે, અમે શું કરીએ? શરમજનક છે.”
“હરિયાણા અને નૂહ હિંસા પર પણ પીએમ મૌન”
પીએમ મોદી પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ લોકો જવાહરલાલ નેહરુને કોસતા રહે છે. તેમણે ચીન સાથે યુદ્ધ તો કર્યું હતું, પરંતુ આ તો મૌન છે. કેજરીવાલે કહ્યું કે હાથમાં હાથ નાખીને મંદિરમાં જવાથી પ્રેમ થાય છે, વિદેશ નીતિ નહીં. નીરવ મોદી, મેહુલ ચોક્સી, આ લોકો આમ જ ભાગ્યા નથી, એમને ભગાડ્યા છે, 16000 વિલફુલ ડિફોલ્ટર્સ છે, તેમના પર કેમ કોઈ તપાસ નથી થતી, પીએમ જણાવો કે આમાં શું સમજૂતી થઈ છે? કેજરીવાલે કહ્યું કે હરિયાણા અને નૂહમાં થયેલી હિંસા પર પણ પીએમ મોદી મૌન છે.