2021માં અફઘાનિસ્તાનથી અમેરિકી દળોના નીકળવા દરમિયાન તેમણે જે હથિયારો છોડી દીધા હતા, તે જ આધુનિક હથિયારોનો ઉપયોગ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ગતિવિધિઓમાં થઈ રહ્યો છે
અમેરિકન દળો લગભગ 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં મોરચો સંભાળી રહ્યા હતા. પરંતુ ઓગસ્ટ 2021 સુધીમાં તમામ અમેરિકન સૈનિકોની અફઘાનિસ્તાનથી વાપસી થઈ ગઈ હતી. આ પછીથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ચાલી રહ્યું છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મહાનિરીક્ષક મોઆજ્જિમ જેહ અંસારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકી દળોના નીકળવા દરમિયાન તેમણે જે હથિયારો છોડી દીધા હતા, તે જ આધુનિક હથિયારોનો ઉપયોગ ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ગતિવિધિઓમાં થઈ રહ્યો છે.
અહેવાલ મુજબ, આતંકવાદીઓએ અમેરિકન દળો દ્વારા છોડવામાં આવેલા આધુનિક હથિયારો સાથે ખૈબર પખ્તુનખ્વા પોલીસ સામે યુદ્ધ છેડ્યું છે. સુરક્ષા દળો પર આતંકવાદીઓ દ્વારા વધી રહેલા હુમલા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સાત અબજ ડોલરના સૈન્ય સાધનો છોડ્યા
જણાવી દઈએ કે અમેરિકન સૈનિકો ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી પરત જતા રહ્યા હતા. અમેરિકન સૈનિકોએ પોતાની પાછળ લગભગ સાત અબજ ડોલરના લશ્કરી સાધનો છોડી ગયા હતા. આ જાણકારી જાતે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આપી છે. જો કે, સંરક્ષણ વિભાગે દલીલ કરી હતી કે આ હથિયારો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં નથી.
રિપોર્ટ અનુસાર, ઈન્સ્પેક્ટર જનરલે કહ્યું છે કે જ્યારે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો ત્યારે અફઘાનિસ્તાનની જેલોમાં બંધ ઘણા આતંકવાદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા.
અંસારીએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનને અડીને આવેલા ખૈબર પખ્તુનખ્વામાંથી આતંકવાદને ખતમ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ વાન પર આતંકવાદીઓએ કરેલા ગોળીબારની ઘટનામાં ગુરુવારે છ પોલીસકર્મીઓ શહીદ થયા હતા.