કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ (કેએલએફએફ) 2023 સાચા અર્થમાં ફિલ્મ અને સાહિત્ય તથા એકંદરે સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટેનું એક અદભૂત મંચ બની ગયો છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત કેએલએફએફ 2023ના ત્રીજા દિવસે ગુજરાતી સિનેમા, ભારતીય ઇતિહાસ, હિંદુત્ત્વને લગતાં નિવેદનો, ભારતીય પુરાણો અને બીજી ઘણાં બધાં વિષયો પર રસપ્રદ ચર્ચાઓ થઈ હતી.
કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે. કેએલએફએફમાં ઉપસ્થિત રહેલા જાણીતા લેખક ક્રિસ્ટોફર સી. ડોયલે ‘ઇન્ડિયન માયથોલોજી – બ્રિંગિંગ યૂથ બૅક ટુ ફોલ્ડ’ પરના સેશનને સંબોધ્યું હતું. આ સેશન દરમિયાન શ્રી ડોયલે સમગ્ર વિશ્વમાં લખાયેલી વાર્તાઓ અને ઘટેલી ઘટનાઓના વિરોધાભાસ પર ધ્યાન દોર્યું હતું અને તેને મહાભારત સાથે સાંકળી હતી. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને ઇજિપ્તના ભવ્ય પીરામિડો, પથ્થર યુગ વગેરે અંગેના તથ્યો અને રહસ્યો અંગે અદભૂત જાણકારી પૂરી પાડી હતી. સુપ્રીમ કૉર્ટના એડવોકેટ અને જાણીતા લેખક શ્રી જે. સાંઈ દીપક અને કોન્સોર્યિટલ લીગલના સહ-સ્થાપક પાર્ટનર શ્રી સત્યેન્દ્ર શ્રીવાસ્તવે ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત’ થીમ પર વાત કરતાં હિંદુઓ કેવી રીતે વૈશ્વિક લઘુમતી છે, તે અંગે વાત કરી હતી. શ્રી જે. સાંઈ દીપકે જણાવ્યું હતું કે, ‘હિંદુઓ એક વૈશ્વિક લઘુમતી છે, જેમનું અસિત્ત્વ જોખમમાં છે. આથી જ તેમણે જાગૃત થવાની અને આ સમસ્યા અંગે વિચારવાની જરૂર છે. આખરે તો આપણે આ અંગેની નીતિ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. ભારતમાં 2014ની સાથે એક સ્પષ્ટ બદલાવનું પ્રતિનિધિત્ત્વ કરનારું રાજકીય પરિવર્તન આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આ બાબત સ્પર્ધાત્મક રાજકીય વિકલ્પોના મહત્ત્વને પણ સૂચવે છે.’
તેમણે દેશની શૈક્ષણિક પ્રણાલીમાં ઇતિહાસને વિકૃત બનાવવા અંગે પણ વાત કરી હતી. ‘કલમ સે’ નામના સેશન દરમિયાન લેખક અને દિગ્દર્શક સુશ્રી રુચી જોશી, જાણીતા પટકથા લેખિકા સુશ્રી ઉર્મી જુવેકર તથા લેખિકા સુશ્રી નેહલ બક્ષીએ લેખનની સર્જનાત્મક પ્રક્રિયા અંગે વાત કરી હતી. સુશ્રી રુચી જોશીએ વિવિધ પ્રકારનું પાત્રાલેખન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘એક પાત્ર જ વાર્તાને આગળ વધારે છે. વાર્તાકારે કલ્પનાના ઘોડા વધારે દોડાવાને બદલે વાર્તાને વધુને વધુ રસપ્રદ બનાવવા વિવિધ સંભાવનાઓની સાથે આગળ આવવાની જરૂર છે.’
તો બીજી તરફ, સુશ્રી ઉર્મી જુવેકરે પટકથા લેખનના પડકારો અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘પટકથા લેખકોને સાહિત્યનું લેખનકાર્ય કરનારા લોકોથી અલગ પ્રકારની તાલીમની જરૂર પડે છે.’ ટિંકલ કૉમિક્સના ભૂતપૂર્વ સંપાદક સુશ્રી રજની થિંડિયાથ અને નેટફ્લિક્સના સ્ક્રિપ્ટ રાઇટર સુશ્રી સવની પારેખે ‘ટૂન ઇટ અપ’ નામના તેમના સેશનમાં એનિમેશન ઇન્ડસ્ટ્રી અંગે ઊંડાણપૂર્વકની રસપ્રદ જાણકારી પૂરી પાડી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના વ્યાપક સ્વીકરણ અને હાલમાં જ ચેટ જીપીટી ઉમેરાવા અંગે વાત કરતાં સુશ્રી રજની થિંડિયાથે જણાવ્યું હતું કે, ‘એઆઈ ઘણાં લાંબા સમયથી છે. હાલમાં તેણે એનિમેશન અને લેખનકાર્યમાં પગપેસારો કર્યો છે. પરંતુ મનુષ્યની ભાવનાઓ અને કલ્પનાશક્તિનો કોઈ વિકલ્પ નથી. એક કન્ઝ્યુમર તરીકે આપણે તેને કેટલી હદે સ્વીકારીશું તે એક પૂછવાલાયક પ્રશ્ન છે.’
એક ગીતકાર તરીકેની પોતાની યાત્રા અંગે વાત કરતાં સુશ્રી અભિરુચિ ચાંદ અને શ્રી ભાર્ગવ પુરોહિતે સોશિયલ મીડિયાનો યુગ કેવી રીતે ગીતો અને લીરિક્સ પર પ્રભાવ પાડશે નહીં, તે અંગે વાત કરી હતી. સુશ્રી અભિરુચિ ચાંદે જણાવ્યું હતું કે, ‘તમે જ તમારા પોતાના જજ છો. તમારે શા માટે ગીતકાર બનવું જોઇએ તે અંગેના તમારા ઇરાદાઓ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઇએ. ઘણીવાર પહેલાં કમ્પોઝિશન બની જતી હોય છે અને તેની પર ગીત લખવાનું કહેવામાં આવતું હોય છે. જે ઘણીવાર પડકારરૂપ બની જાય છે. ઘણીવાર શ્રેષ્ઠ લાઇનોને કાપી નાંખવામાં આવતી હોય છે.’ કેએલએફએફ 2023માં ગુજરાતી સિનેમા અને તેના વિકાસ અંગે કેટલીક તીખી ચર્ચા પણ થઈ હતી. પબ્લિસિસ્ટ શ્રી ચેતન ચૌહાણની સાથે પટકથા લેખક અને સંવાદ લેખક શ્રી કેયુ શાહ; અભિનેતા અને પ્રોડ્યૂસર સુશ્રી આરતી પટેલ; ‘હેલ્લારો’ના પ્રોડ્યૂસર, એડિટર અને સહ-લેખક શ્રી પ્રતીક ગુપ્તા; શ્રી મનિષ સૈની; ફિલ્મ ડિરેક્ટર શ્રી મિખિલ મુસાલે તથા ફિલ્મ પ્રોડ્યૂસર શ્રી વૈશલ શાહ પણ આ ચર્ચાનો હિસ્સો હતાં.
શ્રી વૈશલ શાહે જણાવ્યું હતું કે, ‘ગુજરાતી ફિલ્મે ઓસ્કારમાં ગર્જના કર્યા બાદ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે નવું શિખર સર કર્યું છે. કોવિડ-19 પછી ઘણી ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે.’ જાણીતી ગાયિકા સુશ્રી શ્રુતિ પાઠક, સંગીતકાર અને ગાયક શ્રી અરવિંદ વેગડા તથા ગાયિકા અને ગીતકાર સુશ્રી મિરાંદે શાહે ‘સાઉન્ડિલિશિયસ’ નામના સેશનને સંબોધતી વખતે સંગીત અને સાઉન્ડ્સ પર રસપ્રદ ચર્ચા કરી હતી. ડીઝાઇન સ્ટ્રેટેજિસ્ટ કાબ્યા શ્રી બોર્ગોહેનની સાથે ભારતીય ફિલ્મનિર્માતા રિમા દાસે તેમના સેશન ‘ધી વિલેજ રોકસ્ટાર્સ’ દરમિયાન કેટલાક રસપ્રદ દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ દરમિયાન અગ્રણી ફિલ્મ પબ્લિસિસ્ટ સુશ્રી પારુલ ગોસાંઈએ પ્રિન્સિપલ ડિજિટલ કન્ટેન્ટ પ્રોડ્યૂસર – ટાઇમ્સ ઇન્ટરનેટ લિમિટેડ, શ્રી સંજય મિશ્રા; આસિસ્ટન્ટ ડિરેક્ટર – એન્ટરટેઇન્મેન્ટ, પિંકવિલા શ્રી અવિનાશ લોહાના અને કન્ટેન્ટ કોશના સ્થાપક સુશ્રી દીપાલી ચટવાનીની સાથે પાપારાઝીના નવા યુગ વિશે વાત કરી હતી. ‘ફિલ્મી કીડા’ નામનું પણ એક રસપ્રદ સેશન યોજાયું હતું, જેમાં જાણીતા ભારતીય પટકથા લેખક શ્રી અમિત વી. માસુરકર અને લેખિકા સુશ્રી આસ્થા ટિકુએ ભાગ લીધો હતો. લેખક અને ક્યુરેટર શ્રી મધુ રાઘવેન્દ્રે ‘કવિતાની કાયાપલટ’ અંગે વાત કરી હતી. કેએલએફએફ 2023 એ એક ઉત્સવી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આશ્ચર્યજનક સર્જનાત્મક મુલાકાતો દ્વારા સાહિત્ય, ફિલ્મ, રંગભૂમિ, લોકકલા અને સંસ્કૃતિના જેવા ક્ષેત્રોના ફલકને વિસ્તારવાનો છે. આ ફેસ્ટિવલમાં વક્તાઓના જકડી રાખનારા સત્રો, સંવાદાત્મક પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને અનેકવિધ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો એવો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ વાર્તાલાપો અને સંવાદો માટે વિવિધ પ્રકારના પ્લેટફૉર્મની રચના કરવામાં આવે. આપણે દિવસેને દિવસે સોશિયલ મીડિયા અને માહિતીની ભરમારના યુગમાં સતત પરિવર્તનશીલ વિશ્વને અપનાવી રહ્યાં છે અને તેમાં સંલગ્ન થઈ રહ્યાં છીએ, જેમાં એકાગ્રતા દિવસને દિવસે ઘટી રહી છે, ત્યારે કેએલએફએફ એ વાર્તાકારો, લેખકો અને ઓરિજિનલ કન્ટેન્ટ રચયિતાઓના દ્રષ્ટિકોણો અને વિચારોને પરત લાવવાનો એક પ્રયત્ન છે, જેઓ આપણા રોજિંદા જીવન, આપણી આસપાસની દુનિયામાંથી અને એટલું જ નહીં વૈકલ્પિક વાસ્તવિકતાઓમાંથી વાર્તાઓને શોધવા અને કહેવા માટે સતત રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહે છે.’