પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. મમતાએ રાજ્યના મુખ્ય સચિવને બંગાળના સિનેમાઘરોમાંથી ફિલ્મ હટાવવાનો આદેશ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બંગાળમાં શાંતિ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી શહેરમાં હિંસા અને ગુનાની ઘટનાઓ ન બને.
મમતા બેનર્જીએ ભાજપ પર પણ મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર બનાવટી અને ખોટી વાર્તાઓ વાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મ નિર્માતાઓને પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ ‘ધ કેરલ સ્ટોરી’ નામની ફિલ્મ બતાવી રહી છે, જેની વાર્તા બનાવટી છે. થોડા દિવસો પહેલા તેમના દ્વારા મોકલવામાં આવેલા કલાકારો બંગાળ આવ્યા હતા અને તેઓ બનાવટી અને ખોટી વાર્તા સાથેની ફિલ્મ બંગાળ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે.
મમતાએ વધુમાં કહ્યું કે આ લોકો કેરળ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છે. તેઓ દરરોજ બંગાળના ગૌરવને પણ નુકસાન પહોંચાડે છે. ભાજપ શા માટે સાંપ્રદાયિક સમસ્યાઓ ઊભી કરી રહી છે? શું આ બધું કરવાનું કોઈ રાજકીય પક્ષનું કામ છે? તેમને આવું કરવાનો અધિકાર કોણે આપ્યો?
પશ્ચિમ બંગાળ પહેલા તમિલનાડુમાં ફિલ્મ ‘ધ કેરાલ સ્ટોરી’નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તમિલનાડુના મલ્ટિપ્લેક્સ એસોસિએશને સિનેમાઘરોમાં ફિલ્મ બતાવવાનો ઇનકાર કર્યો હતો. માહિતી અનુસાર, તમિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને જાહેરાત કરી હતી કે રવિવારથી રાજ્યભરમાં ‘ધ કેરલ સ્ટોરી’નું સ્ક્રીનિંગ બંધ કરી દેવામાં આવશે. તેના નિર્ણય પાછળનું કારણ જણાવતા એસોસિએશને કહ્યું છે કે આ ફિલ્મ ‘કાયદો અને વ્યવસ્થા માટે ખતરો’ બની શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે સામાન્ય લોકો તરફથી ફિલ્મને મળેલો ઠંડો પ્રતિસાદ પણ આ નિર્ણય પાછળનું એક કારણ છે.
‘ધ કેરલ સ્ટોરી’ પર વિવાદ
ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના ટ્રેલરમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કેરળની 32,000 છોકરીઓ આવી ઘટનાઓનો શિકાર બની છે. અહીંથી વિવાદો શરૂ થયા. કેરળની હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો. કેસની સુનાવણી દરમિયાન, નિર્માતાઓએ કોર્ટને કહ્યું હતું કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી લાઇન હટાવી દેશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરળમાં 32,000 મહિલાઓ ISISમાં જોડાઈ છે. પરંતુ રિલીઝ થયા બાદ પણ ફિલ્મ વિવાદોથી દૂર નથી રહી શકી.