મહારાષ્ટ્રના બે જિલ્લાઓ અહેમદનગર અને નંદુરબારમાં ગઈકાલે રાત્રે બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા. બંને જિલ્લામાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર, અહેમદનગરમાં રામનવમી દરમિયાન ધ્વજારોહણને લઈને બે સમુદાયો વચ્ચે ઝઘડો થયો હતો અને આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી વિવાદનું સમાધાન થયું હતું. જે બાદ ગઈકાલે પણ આ જ બે જૂથો વચ્ચે બાઇક પાર્કિંગ બાબતે ફરી બોલાચાલી થઈ હતી અને પછી મારામારી બાદ પથ્થરમારો થયો હતો અને તંગદિલી વધી ગઈ હતી.
બંને જૂથોએ પથ્થરમારો કર્યો જેમાં નજીકના વાહનોને પણ નુકસાન થયું. આ હિંસા કેસમાં અત્યાર સુધીમાં પોલીસે કુલ 16 આરોપીઓની ધરપકડ કરી છે અને મોડી રાત્રે FIR પણ નોંધવામાં આવી છે. આ સાથે 25થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેમદનગર અને નંદુરબારમાં તણાવ ચાલુ
અહમદનગરની સાથે, નંદુરબાર શહેરમાં ગઈકાલે રાત્રે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો અને તણાવનું વાતાવરણ બની ગયું. જો કે બંને જૂથો વચ્ચે અથડામણ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ પોલીસે આ કેસમાં 6 થી 7 લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષક પી.આર. પાટીલે જણાવ્યું કે નંદુરબાર શહેરમાં કેટલાક લોકો હંગામો મચાવી રહ્યા હતા અને હંગામો મચાવનારા લોકોને પોલીસે તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા હતા. છ થી સાત લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નંદુરબાર પોલીસ પ્રશાસને લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. હંગામો મચાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા પણ રામનવમીને લઈને છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા, મહારાષ્ટ્રના જલગાંવ અને મુંબઈના મલાડમાં હિંસક ઘટનાઓ જોવા મળી હતી. ત્યારે હવે અહમદનગર અને નંદુરબારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે.